શ્રી મકરંદસાહેબ ને વાંચુ ત્યારે એમ થાય કે આપણાં ધર્મ ને સાચી રીતે સમજવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ. આપણે સંપૂર્ણ કર્મકાંડી ધર્મ માં માનતા થયા છીએ.
આજે શિવરાત્રી એ મંદિરમાં જવાનું, મોટે મોટે થી ૐ નમઃ શિવાય બોલવાનું, ભાંગ ભગવાન ને ધરાવવાની એટલા માટે કે પ્રસાદ કહીને પી શકાય. એમા પણ એક બંગાળી લેખક અમીશે તો શિવને ટ્રાઈબ કહી ને આખી સ્ટોરી સીરિઝ લખીને લોકોને મીસગાઈડ કરવામાં મોટો ફાળો આપ્યો છે.
શ્રી મકરંદસાહેબ ની ' ચિરંતના' માં શિવાલય નો અર્થ સમજાવ્યો છે જે આજે મુકવાનું મન થયું છે.
શિવાલય એ અષ્ટાંગ યોગનું પ્રતિક છે.
શિવાલયના દર્શન સાથે યોગની ભૂમિકા ને સમજીએ.
શિવાલયના તોરણ પાસેથી ભૈરવની મૂર્તિ દેખાય.
યોગના આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધી. આ આઠ અંગોનું સ્પષ્ટ સ્મરણ થતું રહે માટે શિવાલયમાં એને યોગ્ય જગ્યાએ મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે.
પહેલાં 'યમ'. ભૈરવની મૂર્તિ : ભૈરવ યમનું પ્રતિક.
યમ પાંચ છે. : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.
યમ એ બીજાઓ સાથેના સંબંધમાં પ્રગટતી વર્તનની સચ્ચાઈ અને સૌમ્યતા છે. એ બહિરંગ સાધના છે. ભૈરવના ખડ્ગ થી તમારા અહંકાર નો વધ ન થાય અને એના ખપ્પરમાં મમતાની સામગ્રી ન હોમાઈ જાય ત્યા સુધી શિવાલય માં સાચો પ્રવેશ ન ગણાય.
પછી આવે નિયમ : નિયમ એ પોતે પોતાને માટે કરવાની સાધના. હવે શિવાલયમાં પ્રવેશી શકીએ. બહારના જગતમાંથી નીકળી આંતરિક સાધના માં આગળ વધીએ.
હવે નંદી અને કાચબો : કાચબો નિયમો નું પ્રતિક છે.
નિયમ પણ પાંચ છે : શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. કાચબો જેમ અંગોને સંકોરે છે તેમ આ નિયમો દ્વારા આત્મનિમગ્ન થતાં જવાનું છે.
યમ નિયમના - બહાર અને અંદર ના - વેહવાર ની ભૂમિકા ચોખ્ખી કરીને માણસે સાધના માટે બેસી જવું જોઈએ.
હવે નંદી : નંદી આસનનું પ્રતિક છે. શિવનું વાહન નંદી આસન બનીને પરમ તત્વને સ્થાપવા ની પ્રેરણા આપે છે.
શિવાલય ના ગર્ભગૃહ માં પ્રવેશતા પહેલાં એક તરફ હનુમાનજી અને બીજી બાજુ ગણપતિ નાં દર્શન કરવા જોઈએ.
આસન પછી આવે પ્રાણાયામ અને પ્રત્યાહાર. હનુમાનજી ની મૂર્તિ પ્રાણના જય ને સિદ્ધ કરવાનું સુચવે છે. મરુતજય, યોગમાં ચિત્ત ને વશ કરવાની, શુધ્ધ કરવાની નિર્મલ વિવેકજ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રથમ ભૂમિકા છે. પ્રાણાયામ દ્વારા ઇન્દ્રિયો ના દોષો બળી જાય છે.
ગણપતિ ની મૂર્તિ પ્રત્યાહાર સમજાવે છે. ઇન્દ્રિયો બહિર્મુખી હોય છે. જે કોઈને કોઈ રાગ દ્વેષ મા ખેંચાય છે. પણ ચિત્ત નિર્મલ હોય એકાગ્ર હોય તો ઇન્દ્રિયો ને જ વિવેકશક્તિ થી પોતાને અનુસરતી બનાવે છે. આ છે પ્રત્યાહાર. ગણપતિ ના સ્વરૂપમાં થી સૂક્ષ્મ બુધ્ધિ ને સબળતા ની ઝાંખી થાય છે.
હવે ગર્ભગૃહ : જૂના શિવાલયો માં પાંચ પગથિયા રાખવામાં આવતાં. પંચતત્વના આ જગતની બધી વિવિધ વિરોધી ને વિનાશશીલ લાગતી પરંપરા વટાવી અવિભાજ્ય અને અવિનાશી આત્મલોક માં પ્રવેશવાનો સંકેત છે. આ હતા યોગના પાંચ બહિરંગ.
હવે ત્રણ અંગ અંતરંગ : ધારણા, ધ્યાન, સમાધિ.
ધારણા એટલે ચિત્ત ને ધ્યાનના આધારભૂત સ્થાનમાં એકત્રિત કરવું એ. શિવલિંગ ને વીંટળાઈને માથે ફેણ માંડીને બેઠેલો નાગ, ધારણા નું પ્રતિક છે.
ગર્ભગૃહ માં રહેલી પાર્વતી ની પ્રતિમા ધ્યાન દર્શાવે છે. અને જ્યાં ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એક બને તે સમાધિઅવસ્થાનું દ્યોતક શિવલિંગ છે.
શિવાલયમાં આ રીતે અષ્ટાંગ યોગને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું છે.
મિત્રો આ છે શિવાલય.
તા. ક.
કોપી પેસ્ટ કરવાની છુટ છે પણ કોઈ શ્રી મકરંદસાહેબ નું નામ એડીટ ના કરશો એવી મારી હંબલ રીક્વેસ્ટ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો